વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેબિનેટે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે… સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવવા તથા દેશમાં 10 હજાર કૃષિ ઉત્પાદન સંગઠન ઈપીએફઓ બનાવવાનો નિર્ણય લીધો છે.
આ સાથે જ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 4558 કરોડ રુપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આશરે 95 લાખ ખેડૂતોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને પણ મોટી રાહત થઈ છે. થોડા સમય પહેલા જ રાજ્યમાં પાક વીમાને લઈ ભારે હોબાળો મચ્યો હતો. ..ત્યારે કેબિનેટનો આ નિર્ણય રાજ્યના ખેડૂતો માટે આનંદદાયક છે.
કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે આજે પાળ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું કે આ વીમા યોજના અંતર્ગત કુલ 13,000 કરોડ રૂપિયાના વીમા થયા જેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે.