રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કરાવવામાં આવી રહી છે. જેના પગલે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સામાન્ય પ્રજાને થતી હાલાકીનો ઉધડો લેવાની સાથે સોશિયલ મીડિયા બાદ વડોદરામાં જનજાગૃતિ માટે ગંદકીવાળા વિસ્તારોમાં પહોંચીને શહેર કોંગ્રેસ દ્વારા જનતા મેમો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના દર્શનમ નજીક ગરનાળામાં ખદબદતી ગંદકીમાં પહોંચીને પાલિક તંત્રને જનતા મેમો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના આ કાર્યક્રમને આસપાસના રહીશોએ પણ ટેકો આપ્યો હતો. શહેરને સ્માર્ટ સીટી બનાવવાની છાશવારે થતી જાહેરાતો સામે વડોદરાના થોકબંધ વિસ્તારો ગંદકીથી ખદબદી રહયા છે.સફાઈ અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી પાલિકાતંત્રની હોવા છતાં ઠેર ઠેર નર્કાગારની સ્થિતિ રોગચાળો પણ ફેલાઇ રહ્યો છે.તંત્રની આંખો ખોલવા અને જનતાને જાગૃત કરવા શહેર કોંગ્રેસ દ્વારા જનતા મેમો કાર્યક્રમો શરૂ કરાયા છે.તેના સંઘર્ષમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ,વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગી કોર્પોરેટરો અને આગેવાનો તથા કાર્યકરો દ્વારા ગંદકીથી ખદબતા વિસ્તારોમાં પહોંચીને તંત્રને ઢંઢોળવા સુત્રોચ્ચારો સાથે જનતા મેમો અપાયા હતાં.