દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી તંત્ર સાથે હવે પ્રજા પણ ગંભીર બની રહી છે. કોરોનાને નાથવા માટે હવે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જિલ્લામાં આગામી સાંજના 4થી સવારના 6 વાગ્યા સુધી સ્વયંભુ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જોકે, સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા પર હાલ પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ રાજ્યના 20 શહેરોમાં 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે
. તેમાં દાહોદ શહેરનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ પણ જિલ્લામાં કોરોના આંક સતત વધતો જતો હોવાથી દેવગઢ બારીયા,ઝાલોદ અને લીમડી જેવા નગરોમાં પણ સ્થાનિકોએ સ્વયં રાત્રિ કર્ફ્યુ શરુ કર્યો છે. બીજી તરફ દાહોદ જિલ્લાની સ્થિતિ રોજે રોજ બગડી રહી છે. જેના પગલે જિલ્લામાં લોકડાઉન થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો પરંતુ હવે હાલ તેની શક્યતા રહી નથી. કારણકે તંત્ર દ્વારા સાંજના 4 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સ્વયંભુ કર્ફ્યુ લાદી દેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ નિર્ણય કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારી રાજકુમાર બેનીવાલ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી સાથે યોજાયેલી વેપારી મંડળોની બેઠકમાં લેવાયો છે