ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવીણ રામ, જયસુખ પાખડાળ, હરેશ સાવલીયા સહીત ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સામા પક્ષે 10 શખ્સો સહીત 40 થી 50 ના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી 307 સહિતની ફરિયાદ નોંધાવી છે. અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે.
આ સાથે જ આપના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે.’ આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું કે ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. સાથે જ તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ હિંસા તમારો ગભરાટ છે, તમારી હાર છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર મેસેજ કરતા લખ્યું કે લોકોને સારી સગવડ દઈને તેનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી. જૂનાગઢના વિસાવદર તાલુકાનું લેરિયા ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, મહેશ સવાણી સહિતના નેતાઓના કાફલા પર હિચકારા હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી હતી.