જાપાનના ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે અમદાવાદની માના પટેલને નોમિનેટ કરવામાં આવી છે. મહિલાઓના સેક્શન માટે માના પટેલ જ્યારે પુરુષોના સેક્શન માટે શ્રીહરિ નટરાજનની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં યુનિવર્સેલિટી સ્પોટ અંતર્ગત કેટલીક રમતોમાં પસંદગીના ધોરણે ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે માટે અન્ય પણ ઘણા દેશો તેમના ખેલાડીઓના નામ નોમિનેટ કરતાં હોય છે. આખરે આયોજકો અને ઓલિમ્પિકના અધિકારીઓ કયા દેશના કયા ખેલાડીઓને કઈ રમતમાં એન્ટ્રી આપવી તેનો નિર્ણય લેતા હોય છે. માના પટેલ અત્યારે 735 પોઈન્ટ ધરાવે છે. ઓલિમ્પિક્સમાં તે 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લેશે. માના અને શ્રીહરિ નટરાજ તેમની કેટેગરીમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંક ધરાવતા સ્વિમર છે.
શ્રીહરિ 863 અને માના પટેલ 735 પોઈન્ટ ધરાવે છે. સિલેક્શનની વાત કરવામાં આવે તો માના પટેલ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે તે નિશ્ચિત છે કારણકે અન્ય કોઈ પણ મહિલા સ્વિમર સિલેક્શન ટાઈમમાં લક્ષ્યાંક મેળવી શકી નથી જ્યારે શ્રીહરિએ આ માટે હજુ રાહ જોવી પડશે. શ્રીહરિ સહિત છ ભારતીય સ્વિમરે બી ટાઈમ પ્રાપ્ત કર્યો છે અને આ અઠવાડિયામાં તેઓ એ ટાઈમ મેળવવા માટે પ્રયાસ કરશે. ક્વોલિફિકેશન માટેની અંતિમ તારીખ 27મી જૂન છે. માટે શ્રીહરિ ટોક્યો જશે કે નહીં તે જાણવા માટે 27મી જૂન સુધી રાહ જોવી પડશે. નોંધનીય છે કે શ્રીહરિ નટરાજન અને સાજન પ્રકાશે 2016ની રિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. સપ્તાહના અંતે રોમ ખાતે યોજાનારી ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં બન્ને ખેલાડી ભાગ લેશે અને તેમના પ્રદર્શનના આધારે ટોક્યો માટેની ટિકિટ મળશે
ગુજરાત : ટોક્યોમાં થશે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન, ગુજરાતની માના પટેલને નોમિનેટ કરવામાં આવી
Leave a comment
Leave a comment