આ વર્ષે કોરાની મહામારીને પગલે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા લેવામાં આવી નથી. હવે નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે વિદ્યાર્થીઓના રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદમાં પરિણામ ઓનલાઇન મૂકવામાં આવશે. જોકે, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ વિદ્યાર્થી ધોરણ-12ના પરિણામથી ખુશ નથી તો તે લેખિતમાં પરીક્ષા આપી શકે છે. તો બીજી બાજુ ધોરણ 10માં આ વર્ષે બોર્ડ પરીક્ષા રદ થતા પરિણામ સ્કૂલોને તૈયાર કરવા અપાયું છે. ધો.10ની સત્રાંત અને એકમ કસોટીના આધારે પરિણામની ગણતરી કરી આકારણી કરવા સ્કૂલોને આપવામાં આવી છે. સ્કૂલોએ માર્કસની ગણતરી કરીને બોર્ડના પોર્ટલ પર માર્કસ અપલોડ કરી દીધાં છે.
ગુજરાત બોર્ડ દ્વારા હવે સ્કૂલોએ તૈયાર કરેલ પરિણામને આખરી ઓપ આપી વેબસાઈટ પર મૂકી દેવાશે. આ પરિણામ 24મીએ ઓનલાઈન જાહેર કરી દેવાય તેવી શક્યતા છે. જો કે બોર્ડ દ્વારા સપ્તાહના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની અગાઉ જાહેરાત થઈ છે. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ જણાતો નથી. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે, પરંતુ વિદ્યાર્થીઓને તે પહેલા જ કેટલા ગુણ આવશે તે ખબર હોવાથી પરિણામનો ઉત્સાહ ઓસરી ગયો છે. કેમ કે બોર્ડ દ્વારા જે ફોર્મ્યુલા જાહેર કરી છે તે મુજબ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને જ પોતાના ગુણના આધારે બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણ મળશે તેની ગણતરી કરી લીધી છે. આમ, બોર્ડનું પરિણામ જાહેર થાય તે પહેલા જ વિદ્યાર્થીઓએ ગણતરી કરી પોતાનું પરિણામ જાણી લીધું છે.