પાટણ જિલ્લામાં પ્રતિદિન કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ વધારે પ્રમાણમાં ટેસ્ટીંગ કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવાનો આરોગ્ય વિભાગ ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. પાટણ જિલ્લાના કોરોનાના દર્દીઓને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ ધારપુર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરએ પોતાની મુલાકાત દરમિયાન હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરી હતી.
કલેકટરએ પીપીઈ કીટ પહેરી કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને આપવામાં આવતી સારવાર અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય, દવાઓ અને રેમડિસીવર ઈન્જેકશનની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ડૉકટર્સને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ધારપુર ખાતેથી રાજ્યના આરોગ્ય સચિવશ્રી અને આરોગ્ય કમિશનરશ્રી દ્વારા આયોજિત વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. અરવિંદ પરમાર, ધારપુર મેડીકલ કોલેજના ડીન ડૉ. યોગેશાનંદ ગોસાઈ, તબીબી અધીક્ષક ડૉ. મનિષ રામાવત અને રેસિડેન્શીયલ મેડીકલ ઓફિસર ડૉ. હિતેશ ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા