કોરોના મહામારીને કારણે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છેલ્લે 8 ફેબ્રુઆરી 2020ના રોજ લોક અદાલત યોજાઇ હતી. ત્યારબાદ આજે 14 મહિના બાદ પહેલીવાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 હજારથી વધુ કેસ આવ્યા છે અને તેમાંથી 75 ટકા કેસનું નિવારણ થવાની શક્યતા છે. આજે પ્રિ-લીટીગેશનના કેસોનું નિવારણ શક્ય બની શકશે. તેમજ કર્ફ્યૂના કેસોની પણ ચર્ચા કરવામાં આવશે.એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે પહેલી વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ અને પક્ષકારોને મહત્તમ લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે. આજે 800 કેસ રાખ્યા છે તેમાંથી 50 ટકાથી વધારે કેસમાં સમાધાન થઇ જાય તેવી શક્યતા છે.
પ્રિન્સિપાલ સિવિલ જજ હેતલ દવેએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોવિડની મહામારીને કારણે આપણે પહેલી વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીમા કંપની અને બેંકના કર્મચારીઓએ, ન્યાયાધિશોએ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ મહેનત કરી છે. આજે લોક અદાલતમાં 3 હજાર જેટલા કેસ મુકવામાં આવ્યા છે. જેમાં 75 ટકા કેસનું સફળ સમાધાન થાય તેવી શક્યતા છે. અપેક્ષા રાખીએ કે આ લોક અદાલતથી સુવ્યવસ્થા જળવાય અને ઘરે ઘરે દીવા થાય.