સુરતમાં કોરોના સંક્રમણે કાળો કેર વર્તાવ્યો છે. રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સતત વધી રહ્યાં છે. જેના કારણે સ્ટાફની પણ અછત વર્તાવા લાગી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં કોરોનાના દર્દીઓ એટલા વધી ગયા અને તેની સામે તબીબી સ્ટાફ નથી. સત્તાધીશોએ સ્ટાફની ભરતી કરી નહીં અને તેને કારણે આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે.
એક મહિના પહેલાં જ્યારે એક તબીબ સરેરાશ પાંચથી સાત દર્દી ઉપર વોચ રાખતો હતો. આજે એક તબીબે પચાસ કરતાં વધારે દર્દીઓ પર વોચ રાખવી પડે છે. જે લગભગ અશક્ય છે. ચોવીસ કલાક કામગીરી કરતા આ તબીબો કયા દર્દીની શું પરિસ્થિતિ છે તે કળે ત્યાં સુધી દર્દીના જીવ જોખમમાં મુકાઇ જાય છે. ગાંધીનગર ખાતે બેસેલા સચિવોને ગ્રાઉન્ડ રિયાલિટીની કશી ખબર પડી રહી નથી. તેના કારણે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ અને સાથે દર્દીનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. હજારો દર્દીઓ ભગવાન ભરોસે મુકાઇ ગયા છે. ત્યારે આ મામલે રાજકીય સત્તાધીશો પણ કોઇ ધ્યાન આપી રહ્યા નથી