ડાર્ક ચોકલેટથી મોટે ભાગે તમામનું મન લલચાઈ જતું હોય છે. અમેરિકાનાં યુએસ નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિન સર્વેનાં ડેટાંને આધારે કરાયેલા રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે કે, મન લલચાવનારી ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્યને સુધારી શકાય છે. ‘ડિપ્રેશન એન્ઝાઈટી’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં 13,626 લોકોનાં ડેટાંનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં ચોકલેટની માત્રા અને તેની માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરનું અવલોકન કરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં સામે આવ્યું કે 24 કલાક દરમિયાન ડાર્ક ચોકલેટનું સેવન કરતાં લોકોમાં ડિપ્રેશનને લગતા લક્ષણોમાં 70%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર ડો. સારા જેક્સન જણાવે છે કે, ‘અમારા રિસર્ચથી માલુમ પડે છે કે ડાર્ક ચોકલેટનાં સેવનથી ડિપ્રેશનને દૂર કરી શકાય છે. તેમ છતાં ચોકલેટની કેટલી માત્રા અને તેનાં પ્રકાર વિશે વધું રિસર્ચ કરવાની જરૂર છે. મહત્વનું છે કે, ’ચોકલેટમાં ફ્લેવેનોઈડ્સ અને એન્ટિઓક્સિડન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેનાથી મગજમાં ડિપ્રેશન માટે જવાબદાર ઈન્ફ્લામેટરી પ્રોફાઈલમાં સુધારો આવી શકે છે.