ઉપલેટા તાલુકાના નાના એવા ડુમિયાણી ગામના ગરીબ ખેડૂતની કામગરીથી ગુજરાતભરના સાહુકારોને શીખ આપતું કાર્ય કરી બતાવ્યું છે. મહત્વનુ છે કે, હાલમાં જે દેશ દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન કેસોનો વધારો થતો જઇ રહ્યો છે અને સરકાર પણ પરિસ્થિતિને આધીન લોકડાઉનમાં વધારો કરી રહી છે. આવા સમયમાં ગરીબ લોકો દોઢેક મહિનાથી કામ ધંધા વગરના બેસી રહ્યા છે અને અમુક સંસ્થાઓ, તથા માલદારો દ્વારા આવા લોકોને ભોજન પહોંચાડવાનું અને અનાજ પોહચડવાનું કાર્ય સદંતર ચાલુ જ છે. પણ આવા સમયમાં કોઈ નાનો વ્યક્તિ ગરીબોની મદદે આવે એવો પ્રથમ કિસ્સો ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં જોવા મળ્યો છે.
ડુમિયાણી ગામના નાના એવા ખેડૂત રાજાભાઈ રામભાઈ ભુવા જેઓ જાતે બ્રાહ્મણ છે અને પોતાના ખેતરમાં અંદાજે 8 થી 10 વિધાના ઘઉંનો પાક તૈયાર થતા તેઓની ઈચ્છા થઈ કે ગરીબો માટે કાંઈક મદદ કરવી જોઈએ અને આ એક ઈચ્છા તેમના હૃદયમાં બેસી જતા પુરે પુરા મોલના ઘઉં એક પણ રૂપિયાના વેચાણ કર્યા વગર એક મહિનાથી પણ વધારે સમયથી કાયમ 90 થી 100 વ્યક્તિઓને પોતાના ખેતરમાં જ ભોજન તૈયાર કરી અને ગરીબ લોકોને ઘરે ઘરે પહોંચતું કરે છે.