સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં રાજકોટમાં આવેલા ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉનના સમયમાં અમદાવાદમાં ફસાયેલા ગોંડલના વૃદ્ધ અરવિંદભાઈ માંડલીયા અને તેના પત્ની ઉષાબેન બે દિવસ પહેલા ગોંડલ આવ્યા બાદ મેડિકલ તપાસમાં કોરોના પોઝિટિવ નીકળતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે પોલીસ પ્રશાસન અને મેડિકલ સ્ટાફે તકેદારીના ભાગરૂપે અક્ષરધામ સોસાયટીમાં વૃદ્ધ દંપતી રહેતા હતા, તે શેરીને બંને સાઇડ છ ફૂટના પતરા લગાવી કોરન્ટાઇન કરવામાં આવી છે. આ શેરીમાં આશરે 37 ઘરમાં 140 લોકો વસવાટ કરી રહ્યા છે. આ તમામ લોકોને 14 દિવસ ઘર બંધીમાં જ રહેવું ફરજિયાત થવા પામ્યું છે. તે શેરીની બહાર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શેરીમાં રહેતા તલાટી મંત્રી તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરતા લોકો પણ કોરન્ટાઇન થઈ જવા પામ્યા છે.