થરાદ ખાતે આવેલા પરચાધારી શનિદેવ ભગવાનના મંદિરે તૃતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉમંગભેર સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. યજ્ઞ શાસ્ત્રોકત જાણકાર પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનો દ્વારા આહુતિઓ આપી પ્રતિષ્ઠા કરાઈ હતી. તૃતીય પ્રતિષ્ઠા મહોત્સવમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, અસારાના માનસેંગજી રાજપુત યજ્ઞના મુખ્ય યજમાન બની આહુતિઓ પ્રદાન કરી હતી. આ મહોત્સવમાં ભોજન પ્રસાદના દાતા તરીકે થરાદ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ રાજપુત, રતિલાલ રાજપુત, નાગજી રાજપુત, ઘેવરદાસ સાધુ દ્વારા સરસ આયોજન કરી ભોજનદાતાનો શ્રેષ્ઠ લહાવો લીધો હતો. આ સંદર્ભે થરાદ ધારાસભ્યે શનિ ભગવાનના મંદિરે તમામ લોકો પરથી કષ્ટો દૂર થાય એવી પ્રાર્થના કરી હતી. આ યજ્ઞમાં થરાદ શનિદેવ મંદિરના પૂજારી રાજેન્દ્ર પ્રસાદ શર્મા, બનાસ બેન્કના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, દશરથભાઈ દવે, હિરાજી રાજપુત, થરાદ ધારાસભ્ય સહિતના તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.