બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે CMને લખ્યો પત્ર

admin
1 Min Read

‘ક્યાર’ની ઈફેક્ટના પગલે રાજ્યભરમાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, અને રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. માવઠાની અસરથી ખેત પેદાશને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને વળતર ચુકવવાની રજૂઆત કરાઈ છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોએ કરેલ ઉભા પાકને મોટાપાયે નુકશાન થયું છે. બહુચરાજીમાં કપાસ, જુવાર, એરંડા જેવા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે, એક તો વધુ વરસાદથી આમ પણ ખેડૂતો ચિંતામાં હતા, ઉપરથી માવઠાના મારથી ડબલ ફટકો પડ્યો છે. કમોસમી વરસાદથી અમદાવાદના દશક્રોઈ, વિરમગામ અને ધોળકા તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, તો ભારે નુકસાનીમાંથી ઉત્તર ગુજરાતનો અરવલ્લી અને મહેસાણા જિલ્લો પણ બાકાત નથી.

Share This Article