કોફીની એક ચુસકી શરીરને અનોખી ઊર્જા આપે છે એ વાત ખોટી નથી. કોફીનું સેવન મોટાભાગે આપણે ઊંઘ ઉડાવવા કરીએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે કોફી પીવાથી પેટમાં પથરી થવાનું જોખમ પણ ઓછું રહે છે. એક અભ્યાસ અનુસાર, આખા દિવસમાં 6 કે તેથી વધુ વખત કોફી પિવાથી ગૉલ બ્લેડર (પિત્તાશય)માં પથરી થવાનું જોખમ ઓછું થઈ જાય છે. એક રિસર્ચમાં આ વાત બહાર આવી છે કે, વધુ કોફી પીતા લોકોના પિત્તાશયમાં પથરી થવાનું જોખમ કોફી નહીં પીનારા લોકોની તુલનામાં 23% સુધી ઓછું હોય છે.
આ રિસર્ચ અંતર્ગત 1,04,500 પુખ્તવયના લોકોના હેલ્થ અને લાઇફસ્ટાઇલના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પ્રતિભાગીઓ પર 13 વર્ષ સુધી રિસર્ચ કરાયું હતું. તેમણે પીધેલી કોફી માત્રા અને ગૉલ બ્લેડરમાં થતી પથરી વચ્ચે સંબંધ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોની એક ટીમે આ અભ્યાસ કર્યો. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, દિવસમાં એક કપ કોફી પીવાથી ગૉલ બ્લેડરનું જોખમ ત્રણ ટકા સુધી ઓછું થાય છે. યુરોપિયન માર્ગદર્શિકા અનુસાર, દિવસમાં 400 મિલિગ્રામથી વધુ કેફીન શરીર માટે હાનિકારક છે. આ સાથે તેમાં એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે, એક કપ કોફીમાં 70થી 140 મિલિગ્રામ સુધી કેફિન હોય છે.