UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીમાં પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ મંદિરનિર્માણ સ્થળ-અબુ મુરૈખા ખાતે હાલમાં જ ‘મંદિર આધારવેદી વિધિ’ ખૂબ જ ભવ્યતાપૂર્વક યોજાઈ હતી.
આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, ભારતના UAE ખાતેના રાજદૂત પવન કપૂર, દુબઈના કોન્સ્યૂલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રીવિપુલ, UAE સરકારના અધિકારીઓ સાહિત વિવિધ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને 200 આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે યુએઇ તથા આ પ્રોજેક્ટ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી અને 400 ટ્રક સિમેન્ટથી પાયાનું બાંધકામ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે યુએઈમાં તા.11મી ફેબ્રુઆરી, 2018ના રોજ મંદિરનિર્માણ સ્થાને શિલાપૂજન થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરના મોડેલ લોન્ચિંગનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મંદિર ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર મુજબ વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે.જેમાં એક પણ ટુકડો લોખંડ વપરાશે નહીં. 400 ટ્રક સિમેન્ટથી પાયાનું બાંધકામ કરાયુ હતુ. મંદિરના બાંધકામમાં 300 જિઓટેક્નિકલ સેન્સર્સ સ્થાપિત કરાશે.