ઘણા દિવસોથી ગટરના બેક મારતા ગંદા પાણીથી સુરેન્દ્રનગર વોર્ડ નંબર-6ના સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે પણ ઘણા દિવસોથી આ સમસ્યા સર્જાવા છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં નહીં આવતાં ગંદા પાણી પણ રહિશો માટે આફત બન્યા છે. જે અંગે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર-6ના રહીશો અને મહિલાઓએ પાલિકા કચેરી ખાતે ભારે હલ્લાબોલ કર્યો હતો. ભોગાવો નદીના કાંઠે આવેલ રહેણાંક વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ પાલિકા કચેરીએ હોબાળો મચાવતા ગટરના ગંદા પાણી મામલે ઝડપથી કામગીરી કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી છે. મહત્વનું છે કે, હાલ રાજ્યમાં રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે તેવામાં ગટરના પાણી બેક મારતા તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની તેમજ બિમારી ફેલાવાની દહેશત પણ રહેલી છે.