દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આથી હવે કોરોનાથી ઝડપથી મુક્તિ મળી જશે તેવી આશા જન્મી છે. ભારત સરકારના પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,212 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના કેસો ધીમી ગતિએ વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ કેસો 74 લાખને પાર થઈ ગયા છે.
જો કે ભારત માટે એક રાહતના અને સારા સમાચાર એ છે કે 1લી સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત દેશમાં કોરોનાના સક્રિય કેસોનો આંક 8 લાખથી નીચે ગયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 62,212 કેસો સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 74,32,680 થઈ છે. તેમજ વધુ 837 દર્દીઓના મોત થતા કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,12,998 થયો છે. કોરોનાથી સાજા થયેલા લોકોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 70,086 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 65,24,595 લોકો રીકવર થઈ ગયા છે. મહત્વનું છે કે, અથ્યાર સુધી ભારતમાં કુલ 9,32,54,017 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે પૈકી છેલ્લા 24 કલાકમાં 9 લાખ 99 હજારથી વધુ કોરોના ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા.