સરકાર ગૌવંશ અને અન્ય પશુઓ માટે ગૌચર બચાવવાની હાકલ કરી રહી છે ત્યારે ભિલોડા તાલુકાના ખલવાડમાં આવેલી ગૌચરમાં કેટલાક શખ્સોએ ગેર કાયદેસર પ્રવેશ કરી દબાણ કરતા ગ્રામજનો રોષે ભરાયા છે.ભિલોડા તાલુકાના ખલવાડ ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલી ગૌચર સર્વે નં 7 પૈકી 4માં ગામના જ કેટલાક શખ્સોએ ગેર કાયદેસર રીતે ગૌચર પચાવી પાડવાની પ્રવૃત્તિ કરી છે. આ ગૌચરમાં પર્યાવરણ જળવાય એ આશયથી 2800 વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરાવ્યું હતું. તે વૃક્ષના છોડ પણ અસામાજિક તત્વો એ ગૌચર પચાવી પાડવા માટે ઉખડી ફેંકી દીધા છે અને પર્યાવરણ ને પણ નુકશાન કર્યું છે.પચાવી પાડેલી ગૌચરની જમીનમાં ગામનું જૂનું પૌરાણિક મંદિર તેમજ અંબેમાનું મંદિર પણ આવેલું છે ત્યારે ગામના આ ગૌચર બચાવવાની જવાબદારી ગ્રામપંચાયત અને ગ્રામજનોની છે એમ માની ગ્રામજનોએ સરકારી તંત્રમાં પણ જાણ કરી છે. પરંતુ તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું. છેવટે ગ્રામજનોએ એકઠા થઇ મોટી સંખ્યામાં ગામની ગૌચર જમીનમાં દેખાવો યોજી ન્યાયની માંગ કરી હતી.