નવરાત્રીમાં ગરબે ઘુમવા ઉત્સુક યુવતીઓને બની ઠનીને તૈયાર થતી તમે જોઈ હશે પણ શું તમે જાણો છો કે યુવતીઓ સિવાય પણ માતાજીના કેટલાક ઉપાસકો એવા હોય છે કે જે સોળે–શણગાર સજીને માતાજીની ઉપાસના કરવા જાય છે. તો ચાલો આજે તમને પણ લઇ જઈએ આવા ઉપાસકો પાસે. આંખમાં કાજળ, પગમાં પાયલ. અને સજયા છે સોળે શણગાર. હા…પહેલી નજરે તૈયાર થતી આ યુવતી નવરાત્રીમાં થનગનાટ કરવા માટે ઘેલી થયેલી કોઈ મામુલી યુવતી લાગશે પણ નાં તમે જેને યુવતી ધારો છો તે કોઈ યુવતી નથી પણ છે કિન્નર. સામાન્ય રીતે માસીબા તારીકે ઓળખાતા કિન્નરો માટે નવરાત્રીના આ નવ દિવસો ખાસ છે. આ નવે નવ દિવસે લગ્ન કરનાર યુવતીની માફક તૈયાર થઈને તેઓ ગરબે ઘુમવા જાય છે.
નવરાત્રીના આ નવે નવ દિવસ કિન્નરો ઉપવાસ કરી માતાની ઉપાસના કરે છે અને સાંજે નવવધૂની જેમ તૈયાર થઈને મોડે સુધી ગરબે ઘૂમે છે. આ સોળે શણગાર સજવા પાછળનું પણ મુખ્ય કારણ માતાજીને પ્રસન્ન કરવાનું હોય છે અને એટલે જ તેઓ રોજે રોજ દરેક નવરાત્રીએ બ્યુટી પાર્લરમાં જઈને નવવધૂની જેમ તૈયાર થાય છે.
સોનલમાસી, પ્રીતિમાસી અને અન્ય કિન્નરો આ રીતે તૈયાર થઈને ગરબે ઘૂમવાનું શરુ કરે છે. ત્યારે પહેલી નજરે કોઈ તેમને ઓળખી પણ નથી શકતું કે આ કિન્નર હશે. ત્યારે આ કિન્નરો પણ અંતે તો સૌની સુખાકારી માટે માતાજીની ઉપાસના કરે છે.