સુરેન્દ્રનગરના ચોટીલા નગરપાલિકાની સામાન્ય સભા આશરે 10 મહિના બાદ મળી હતી. જોકે, 10 મહિના બાદ મળેલી આ સામાન્ય સભા ભારે હંગામાથી ભરેલી રહી હતી. ચોટીલા શહેરની સમસ્યાઓની રજુઆત વિપક્ષ દ્વારા કરવામાં આવતા સત્તાધીશો દ્વારા જવાબ આપવાનું ટાળવામાં આવ્યુ હતું. સામાન્ય સભા માટે અને કામગીરી માટે કમિશનર સુધી લેખિત રજુઆત કરવામાં આવી હતી. નગરપાલિકામાં ખેંચતાણ થતા શહેરનો વિકાસ રુંધાયો હતો. સામાન્ય સભા દરમિયાન વિપક્ષના ફોટોગ્રાફરને ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. જેના પગલે ચોટીલા નગરપાલિકા રાજકીય અખાડો બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 10 મહિના બાદ ચોટીલાની નગરપાલિકાની સામાન્ય સભા મળી હોવા છતાં ત્યાં તેમાં પ્રજાલક્ષી નિર્ણયોને નેવે મુકીને બન્ને પક્ષો દ્વારા હંગામો કરવામાં મસ્ત રહ્યા. ત્યારે કહેવુ અયોગ્ય નહીં હોય કે નેતાઓ મસ્તીમાં અને પ્રજા ત્રાહિમામ છે.