સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોને ઓછો પાક વીમા ચૂકવવામાં આવતા ખેડૂતોએ કલેકટર કચેરીએ દોડી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ચુડા તાલુકાના ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોએ પાક વીમો લીધો હતો, ત્યારે વર્ષ 2018-19 અછતગ્રસ્ત જાહેર થતા અન્ય ગામોની તુલનાએ ચોકડી અને જુની મોરવાડ ગામના ખેડૂતોને ઓછી માત્રામાં પાક વિમો મળ્યો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. ત્યારે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પણ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. આથી આ બાબતે 15 દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન ઉપર ઉતરી જવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનીના ફોર્મ સ્વિકારવાની મુદતમાં બે દિવસનો વધારો કર્યા બાદ હજુ પણ અનેક ખેડૂતો અરજી કરવાથી વંચીત રહે તેવી સ્થિતી સર્જાઇ છે. ત્યારે વઢવાણ, લીંબડી અને ધ્રાંગધ્રા સહીતના તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને જિલ્લામાં લીલો દુકાળ જાહેર કરી તમામ ખેડૂતોને તાત્કાલીક વળતર ચૂકવવા માંગ કરી હતી.