ચોમાસાના મંડાણ વચ્ચે વલસાડ જિલ્લાની 600 ફિશિંગ બોટ કાંઠાના ગામોની જેટી કિનારે લાંગરવામાં આવી છે.8 માસની સિઝન પૂૂરી થતાં માછીમારો બોટ લઇને માદરે વતન પહોંચ્યા છે,બાકીની બોટ પણ પરત થઇ રહી છે.બીજીતરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોપ્રેશરની સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં પવન અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.જોકે મોઘું ડીઝલ અને પ્રતિકુળ હવામાનને લઇ ફિશિંગ સિઝન નબળી રહેતા સાગરખેડૂ માછીમારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ મચ્છીમારીની સિઝન શરૂ થઇ ગઇ હતી.
માછીમારીનો ધંધો ઓક્ટોબરથી શરૂ કરવા માટે ઓખા, જખૌ,વેરાવળ,મુંબઇ ના સુમદ્રમાં જિલ્લાની બોટો અરબી સમુદ્રમાં ફિશિંગ માટે નિકળી ગઇ હતી. આ વર્ષે 11 જૂનથી ચોમાસાના મંડાણ થતાં વલસાડ જિલ્લાની 600 બોટ વિવિધ બંદરો પરથી વલસાડ જિલ્લામાં પરત ફરી છે.જિલ્લાના 40 હજારથી વધુ માછીમારો ફિશિંગ દ્વારા ગુજરાન ચલાવે છે. મહારાષ્ટ્રના રત્નાગિરી કિનારે તથા ભાઉચા બંદર તથા ગુજરાતના જખૌ અને વેરાવળ,ઓખા બંદરે ધોલાઇ અને વલસાડ જિલ્લાના કાંઠાના ગામોની 600 બોટ લાંગરવામાં આવી છે.જેના કારણે ફિશિંગના ધંધા ઉપર મોટી અસર થઇ છે.