સુરેન્દ્રનગર લખતરમાં આવેલ મસ્જિદચોકથી પોસ્ટઓફિસ સુધી મંજુર થયેલ પેવરબ્લોકનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા અંગે ત્યાંના લોકો દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. મળતી વધુ માહિતી અનુસાર લખતરમાં આવેલ મસ્જિદચોકથી પોસ્ટઓફિસ સુધી તંત્ર દ્વારા ઘણા વર્ષો પહેલા સી.સી રોડ બનાવેલ હતો. જેની અત્યારે હાલત બિસમાર થઇ ગઈ છે. તંત્ર દ્વારા તેની જગ્યાએ આવેદનમાં જણાવ્યા પ્રમાણે 14માં નાણાપંચમાં પેવરબ્લોક રોડ મંજુર કરેલ છે. જેની મંજૂરી તા.12.2.2019 ના રોજ મળી ગયેલ હોવા છતાં કામ શરૂ નહીં કરાતા ત્યાંના રહીશો રેલી સ્વરૂપે પહેલા તલાટી ત્યારબાદ લખતર તાલુકા વિકાસ અધિકારી અને લખતર મામલતદાર કચેરીએ લેખિત રજુઆત કરી તાત્કાલિક કામ શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા માગણી કરી હતી.