સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી 15 કી.મી. દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે, પરંતુ ઢાંકી છેવાડાનું ગામ હોવાથી ગામને મહિને પાંચેક વાર પણ માંડ પાણી મળે છે. જેથી ગ્રામજનોને હમેંશા પાણીની તંગી રહે છે. જેને લઈ તાલુકા પંચાયતનાં સા.ન્યા.સમિતિ ચેરમેન મધુબેન મકવાણા તેમજ ગામનાં સરપંચ પી.બી.મકવાણાએ પાણી પુરવઠા મંત્રીને ગામની નજીક આવેલા પંપીંગ સ્ટેશન NC 26માંથી પાણી પૂરૂં પાડવા રજૂઆત કરી હતી.આ રજૂઆતને પગલે મંત્રી દ્વારા તા.22-4-22ના રોજ ઢાંકી ગામને NC 26 પંપીંગ સ્ટેશનમાંથી પીવાનું પાણી આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
મંત્રીનો આદેશ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ઢાંકી ગ્રામપંચાયત દ્વારા તા.30-5-22ના રોજ લખતર મામલતદારને આવેદનપત્ર આપી જો તા.8 જૂન સુધીમાં કામગીરી શરૂ નહીં થાય તો તા.9 જૂનથી NC 26 સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા આજે તા.9 જૂનથી સા. ન્યા.સમિતિ ચેરમેન, ગામના સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો પોતાની માગ સાથે NC 26 પંપીંગ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન છેડ્યું હતું.