સુરેન્દ્રનગરની કેનાલમાં ગાબડા પડવાનો શિલશિલો યથાવત છે. જેમાં પાટડીની નર્મદા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. જેના પગલે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. એક સપ્તાહ અગાઉ પણ કેનાલમાં ગાબડું પડ્યુ હતુ. જેમાં વારંવાર ગાબડા પડવાને કારણે ખેડૂતો પણ પરેશાન થઇ ગયા છે. ભ્રષ્ટતંત્રની નબળી કામગીરીને કારણે આ રીતે કેનાલમાં અવારનવાર ગાબડા પડે છે અને ખેડૂતોના મહામૂલા પાકને નુકશાન થાય છે. પાટડી તાલુકાની જરવલા પાસેથી પસાર થતી ખારાઘોડા શાખા કેનાલમાં 30 ફુટનું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટના હજી તાજી છે ત્યાં પાટડીમાંથી પસાર થતી એ જ કેનાલમાં પણ 25થી 30 ફુટનું ગાબડું પડ્યું છે. એક જ કેનાલમાં અઠવાડીયામાં બે ગાબડાં પડવા છતાં તંત્ર કૂંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલું છે. કેનાલ આજુબાજુના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવાની સાથે દયનીય બનવા પામી હતી. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ પડેલા ગાબડાને સ્વખર્ચે રીપેર કરાવી હતી. છતાં કેનાલમાં સમયસર પાણી છોડાતા નથી. ખારાઘોડા શાખા કેનાલમાં ઠેર ઠેર ગાબડાઓની સાથે આખી કેનાલોમાં બાવળના અડીંગાના લીધે કેનાલોના પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતા નથી.